Homeગુજરાતમોરબીમોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી...

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા

મોરબી; રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારની મહાઝુંબેશને વેગ આપવા મોરબી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ દ્વારા વિવિધ ખેડૂતલક્ષી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ, મોરબીના સંયુક્ત ઉપક્રમે તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.એમ. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૪ જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમો, ૧૧ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ, ૩ ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠી અને ૫ કિસાન ગોષ્ઠી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોના માધ્યમથી જિલ્લાના ૧૭૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તકનીકી તેમજ વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત કૃષિ તજજ્ઞો તથા આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે વિસ્તૃત સૈદ્ધાંતિક સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને વ્યવહારુ રીતે અપનાવવામાં સરળતા રહે તે માટે ખેતરમાં પ્રત્યક્ષ નિદર્શન અને પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીના વિવિધ કાર્યક્રમોમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતીમાં પ્રાકૃતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ રસાયણમુક્ત ખેતી તરફ આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે યોજાયેલા આ કાર્યક્રમોના પરિણામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહમાં વધારો થયો છે. જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવીને રસાયણમુક્ત અને ટકાઉ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular