વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં સિરામિક કારખાના નજીક બાઇક ચલાવવા બાબતે થયેલી નજીવી તકરારમાં શ્રમિકો પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તામાંથી પસાર થતા મજૂરો પર અજાણ્યા અને સ્થાનિક શખ્સોએ અચાનક લાકડીઓ વડે અંધાધૂંધ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં પિતા-પુત્ર સહિત કુલ ૯થી વધુ કારખાનાના મજૂરોને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાંકાનેર ના સરતનપર ગામની સીમમાં મોટો સ્લીમ સીરામીકની લેબરકોલોની માં રહેતા અભિષેક હુકમસિંગ રાજપુત (ઉ.વ.૨૨) એ આરોપી વિજય રઘુભાઈ ગોરાલીયા રહે ગામ ભીમગુડા વાંકાનેર, મુકેશ સુરેશ મગવાનિયા, વિષ્ણુ જુગા મગવાનિયા, સુરેશ વરસિંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનિયા, જુગગા વરસિંગ મગવાનીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મુકેશ, વિષ્ણુ અને સુરેશ એ ફરિયાદી તથા સાથીઓ સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો દઈ ફરિયાદીને જાહેર માર્ગ ઉપર ઉભા રાખી લાકડીઓથી માર મારી ઇજા પહોંચાડી હતી તથા ફરિયાદીના પિતા હુકમસિંગ ને માથાના ભાગે લાકડી વડે ઇજા કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફોન કરી અન્ય શખ્સોને બોલાવી તમામ આરોપીઓએ ફરિયાદી તથા નવ જેટલા સાથીઓને ભૂંડી ગાળો દઈ લાકડીઓ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.