સામાન્ય દફતર તપાસણી સાથે ગ્રામજનોની રાત્રીસભા યોજાઈ, સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના નેસડા-ખાનપર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સરકારી કામગીરી અને દફતરોની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગ્રામજનો સાથે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીસભા દરમિયાન ગ્રામજનોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ લોકોપયોગી સેવાઓ, યોજનાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય રીતે નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
કલેક્ટરની આ મુલાકાતને પગલે ગ્રામજનો સાથે સીધો સંવાદ થયો હતો અને વિવિધ પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.