હળવદ તાલુકામાં આવેલા કડીયાણા ગામમાં સરકારી અને ગૌચરની કિંમતી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા બેફામપણે ખનિજ ચોરી કરવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ગામના ગૌચરમાંથી કોઈ પણ જાતની મંજૂરી વગર મોટા પાયે માટીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ કડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી-કમ-મંત્રી દ્વારા હળવદ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારને લેખિત રજૂઆત કરી કડક પગલાં ભરવા માંગ કરી છે.
પંચાયત દ્વારા કરવામાં આવેલી સત્તાવાર રજૂઆતમાં જણાવાયું છે કે, ગૌચરની જગ્યામાંથી બિનઅધિકૃત રીતે થઈ રહેલા માટીના ખનનને કારણે ગ્રામ પંચાયતને અને સરકારને મોટું આર્થિક તથા ભૌતિક નુકસાન પહોંચી રહ્યું છે. જો આ પ્રવૃત્તિ પર તુરંત લગામ લગાવવામાં નહીં આવે તો ગામની પર્યાવરણીય સંપત્તિને મોટો ફટકો પડશે. ગ્રામ પંચાયતે સરકારી તંત્ર પાસે માંગ કરી છે કે આ સમગ્ર મામલે ત્વરિત અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ખનિજ ચોરીમાં સંકળાયેલા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી છે.