મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રિષિપભાઈ કૈલા દ્વારા શહેરના સુમેળભર્યા વિકાસ, મનોરંજન અને ટ્રાફિક મુક્ત વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય નગર નિયોજક, મોરબી મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાને પત્ર લખીને શહેરના ભવિષ્ય માટે મહત્વના સૂચનો સવિનય મોકલવામાં આવ્યા છે.
શક્ત શનાળાથી ધુનડા જતા રોડ પર અમર સોલાર બાજુમાં આવેલા શિવમ બંગલોની સામે સરકારી ખરાબા (સર્વે નંબર 177 અને 230) માં આવેલ તળાવના સુંદર બ્યુટિફિકેશન માટે દરખાસ્ત કરાઈ છે. આ જગ્યા આસપાસ વિશાળ પડતર જમીન હોવાથી રાજકોટના રેસકોર્સ જેવો એક સુવિધાયુક્ત મનોરંજન પોઇન્ટ વિકસાવવાનું આયોજન છે. આ સ્થળ માટે મોરબી-રાજકોટ રોડ, રવાપર રોડ, એસ.પી. રોડ, કેનાલ અને અવની રોડ સાથે ઉત્તમ કનેક્ટિવિટી મળે તેમ છે, જેથી ટ્રાફિકનું યોગ્ય આયોજન થઈ શકશે.
શક્ત શનાળા ગામના સરકારી ખરાબામાં મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે પર નવી અદ્યતન મેડિકલ કોલેજ, નવી સરકારી હોસ્પિટલ અને તમામ જિલ્લા કક્ષાની કોર્ટોનું બાંધકામ ચાલુ છે. મોરબી-રાજકોટ રોડ પર 24 કલાક સતત દોડતી એમ્બ્યુલન્સ અને દર્દીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે રોડ અલાઈનમેન્ટનું વિશિષ્ટ અને મજબૂત પ્લાનિંગ કરવા રજૂઆત કરાઈ છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના રવાપર રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર-સરકિટ હાઉસ પાસે અને શક્ત શનાળા જેવા વિસ્તારોમાં અલગ-અલગ ઝોનિંગ ઓફિસ તથા ફાયર સ્ટેશન જેવી આવશ્યક સેવાઓ ઊભી કરવા સૂચન કરાયું છે. આ આયોજનથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અટકશે અને સામાન્ય જનતાને વહીવટી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.