મોરબી: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર પંથક શિવમય બની ગયો છે. દેવાધિદેવ મહાદેવને અત્યંત પ્રિય એવા આ પવિત્ર માસ દરમિયાન વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં શિવભક્તોનું કીડિયારું ઊભરાઈ રહ્યું છે. મંદિર પરિસરો ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર નાદથી ગુંજી ઊઠ્યા છે.
શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શિવભક્તો શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરી રહ્યા છે. શિવાલયોમાં ભક્તો દ્વારા શિવલિંગ પર જલાભિષેક, દુગ્ધાભિષેક તેમજ પવિત્ર રુદ્રાક્ષ અને બિલ્વપત્ર ચઢાવીને વિશેષ આરાધના કરવામાં આવી રહી છે. માન્યતા છે કે આ માસમાં ભોળાનાથ માત્ર જળ અને એક બિલ્વપત્રથી પણ ભક્તો પર પ્રસન્ન થઈ તેમના તમામ દુઃખ-દર્દ દૂર કરે છે.
શ્રાવણ માસના સોમવારનું અનોખું આધ્યત્મિક મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ સોમવારના કઠિન વ્રત અને ઉપવાસ રાખી શિવ ઉપાસના કરે છે. આ દિવસે શિવાલયોમાં વિશેષ શૃંગાર, લઘુરુદ્ર પાઠ, મહામૃત્યુંજય જાપ અને સંધ્યા સમયે આરતીનું ખાસ આયોજન કરવામાં આવે છે.