જેતપર, વાઘપર-પીલુડી અને જીકીયારી બાદ વધુ બે ગામ જોડાયા; ખેડૂતોનો વિરોધ સતત વિસ્તરી રહ્યો
મોરબી જિલ્લામાં વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે વધુ વ્યાપક બનતું જઈ રહ્યું છે. જેતપર, વાઘપર-પીલુડી અને જીકીયારી બાદ હવે વિશાલનગર અને ખીરઈ ગામના ખેડૂતો પણ વિરોધમાં જોડાયા છે. બંને ગામોમાં ભાજપના નેતાઓના બહિષ્કારના બેનરો લગાવી ખેડૂતો દ્વારા પોતાનો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન માટે યોગ્ય અને કાયદાકીય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગામોમાં લગાવવામાં આવેલા બેનરોમાં વર્ષ 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓને ગામમાં મત માંગવા કે પ્રવેશ ન કરવા દેવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વીજ પોલ વળતર મુદ્દે મોરબી જિલ્લામાં ખેડૂતોનો વિરોધ સતત નવા ગામો સુધી વિસ્તરી રહ્યો છે. એક પછી એક ગામો આંદોલનમાં જોડાતા સમગ્ર મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ વિસ્તરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.