હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ તેની કુલ ક્ષમતાના 90% સુધી ભરાઈ ગયો છે. ઉપવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી ડેમમાં સપાટી વધતાં જરૂરિયાત મુજબ વધારાનું પાણી નદીમાં છોડવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિને ધ્યાને રાખીને સિંચાઈ વિભાગ અને તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને તકેદારીના ભાગરૂપે સતર્ક રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક સુચના આપવામાં આવી છે.
ડેમના નીચાણવાસમાં આવતા (૧) સુસવાવ, (૨) કેદારીયા, (૩) ધનાળા, (૪) રાયસંગપુર, (૫) મયુરનગર, (૬) મિયાણી, (૭) ચડાધ્રા, (૮) ટીકર અને (૯) માનગઢ ગામોના રહીશોને નદીના પટમાં ન જવાની તેમજ પોતાના ઢોર-ઢાંખર અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરવામાં આવી છે.