મોરબી: લજાઈ ગામના અઢારે વરણમાં ‘પ્રમુખ’ તરીકે લોકપ્રિય રહેલા સ્વ. પ્રભુલાલભાઈ ખોડાભાઈ મસોતની 19મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી લજાઈ સેવા સહકારી મંડળી તથા લજાઈ ગામના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસ અને સેવાકીય કાર્યોમાં તેમનું અવિસ્મરણીય યોગદાન યાદ કરી મોટી સંખ્યામાં ગ્રામજનોએ હરિયાળી દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વ. પ્રભુલાલભાઈ મસોત લજાઈ સેવા સહકારી મંડળી, દેવદયા માધ્યમિક શાળા, શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, લજાઈ ગૌશાળા સહિત અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. તેમની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા, વન વિભાગના RFO સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન થયેલા વરસાદને પણ ઉપસ્થિતોએ ઈશ્વરની કૃપા અને સ્વ. પ્રભુલાલભાઈના સારા કાર્યોને મળેલી પ્રકૃતિની અંજલિ તરીકે નિહાળી હતી.