કોંગ્રેસ આગેવાનો સાથે રહીશોએ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું; તાત્કાલિક રોડનું કામ નહીં થાય તો આંદોલનની ચીમકી
મોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 વિસ્તારમાં આવેલા વિશીપરા મેઈન રોડની અત્યંત દયનીય હાલતને લઈને સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે આજે રહીશો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સોનીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે રોડની ખરાબ હાલતના કારણે સ્થાનિક લોકોને રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમમાં રોડ પર પાણી ભરાવા અને ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.
રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ તાત્કાલિક રોડનું સમારકામ શરૂ કરીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.