મોરબી શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવેલા રોહીદાસ પરામાં ગઈકાલે રોહીદાસ બાપુજીના મંદિર ખાતે લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત મેડિકલ કેમ્પ તેમજ નિઃશુલ્ક વૃક્ષારોપણ માટે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ કલ્યાણ અધિકારી કે. એમ. છાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન વિસ્તારના અંદાજે 200થી વધુ લોકોએ આરોગ્ય ચકાસણીનો લાભ લીધો હતો.
આ મેડિકલ કેમ્પમાં દર્દીઓની વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દવાઓ પણ મફતમાં આપવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે આરોગ્ય જાગૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે ચેકઅપ કરાવવા આવેલા દરેક દર્દીને એક વૃક્ષનો રોપો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.
આ આયોજનથી સ્થાનિક રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ટ્રસ્ટની આરોગ્ય તથા પર્યાવરણ પ્રત્યેની આ પહેલને લોકોએ સરાહનીય ગણાવી હતી. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણના કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.