સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ (GR) ના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આવકના દાખલા મેળવવામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી. ઠોરીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરીને ઠરાવમાં જરૂરી સુધારો કરવા માંગ કરવામાં આવી છે.
રજુઆત જણાવ્યું છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઠરાવ ડિમાન્ડ SJED/MIS/e-file/17/2026/0423/A Section તા. 18/02/2026 ના જાહેર થયેલ GR અનુસાર આવકના દાખલા આપવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર તાલુકા વિકાસ અધિકારી (TDO) તથા શહેરી વિસ્તારોમાં મામલતદારને સત્તાધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. અગાઉ તાલુકા સ્તરે તલાટી-કમ-મંત્રી તથા અન્ય અધિકારીઓ મારફતે પણ આવકના દાખલા ઝડપથી આપવામાં આવતા હતા.
હાલમાં સમગ્ર સત્તા માત્ર તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી ઉપર કેન્દ્રિત થતા અરજદારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને:
1. તાલુકા પંચાયત કચેરીમાં અરજીઓનો ભારે બોજો વધ્યો છે.
2. આવકના દાખલા મેળવવામાં અતિશય વિલંબ થઈ રહ્યો છે.
3. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, એડમિશન તથા સરકારી યોજનાઓમાં સમયસર લાભમેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
4. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વારંવાર તાલુકા કચેરીના ધક્કા ખાવા પડે છે.
5. અગાઉ સ્થાનિક સ્તરે તલાટી-કમ-મંત્રી દ્વારા ઝડપથી થતું કામ હવે કેન્દ્રિત પ્રક્રિયાને કારણે ધીમું બન્યું છે.
આથી પ્રજાહિતને ધ્યાનમાં રાખી ઉપરોક્ત GR માં જરૂરી સુધારો કરવામાં આવે તથા અગાઉની જેમ તલાટી-કમ-મંત્રીને પણ આવકના દાખલા પ્રક્રિયામાં સત્તા/ભલામણ અધિકાર આપવામાં આવે અથવા તાલુકા સ્તરે વધારાની સત્તાધિકારીઓની નિમણૂક કરવામાં આવે જેથી અરજદારોને સમયસર સેવા મળી શકે. જેથી આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે.