કચ્છ તરફથી અમદાવાદ તરફ પશુઓને કતલના ઇરાદે ભરી લઈ જવાતી હોવાની બાતમીના આધારે હળવદ નજીક ગૌરક્ષકો અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ શનિવાર વહેલી સવારે માળીયા તરફથી આવતી આઇસર ગાડી નંબર GJ-27-TD-8780 પર નજર રાખવામાં આવી હતી.
મોરબી, હળવદ, કચ્છ, ધાંગધ્રા અને વિરમગામની ગૌરક્ષક ટીમો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ અને અન્ય ગૌસંવર્ધન સંગઠનોના કાર્યકરો વોચમાં હતા. ગાડી આવતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન ગાડીચાલકે ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હળવદ સરા ચોકડી નજીક પોલીસ અને ગૌરક્ષકોની મદદથી ગાડીને રોકી તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન ગાડીમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા અંદાજે 35 જીવતા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લઈ ગાડી સાથે હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં બચાવાયેલા પશુઓને મહાજન ખાતે સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન હળવદ પોલીસ અને અધિકારીઓનો ગૌરક્ષક ટીમોને સારો સહકાર મળ્યો હોવાનું પણ જણાવાયું છે.