મોરબી શહેર અને જિલ્લાની જનતા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસો અને રજૂઆતોને પગલે મોરબી ખાતે ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આજે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટે સૂચિત જગ્યાનું ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થળની યોગ્યતા, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સ્ટેશન સ્થાપવા અંગેની વિવિધ બાબતોની પ્રાથમિક સમીક્ષા કરવામાં આવી હતી.
સ્થળ નિરીક્ષણ દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીના એડિશનલ ડાયરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ, આકાશવાણી અમદાવાદ-ગુજરાત ક્લસ્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, જયદીપભાઈ દેત્રોજા સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
મોરબીમાં આકાશવાણી સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક સમાચાર ઉપરાંત શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા અને સામાજિક જાગૃતિના કાર્યક્રમોને વ્યાપક માધ્યમ મળશે. સાથે જ સ્થાનિક કલાકારો અને વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને પણ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ મળી રહેશે.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સતત પ્રયાસોથી મોરબીના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.