મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત ‘માનવ મંદિર’ ખાતે રક્ષાબંધન પર્વની હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી.
માનવ મંદિરમાં વસવાટ કરતા વડીલ ભાઈ-બહેનો તેમજ સંસ્થાના સેવકો અને કામદારો સાથે ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કર્મચારીઓ પ્રવીણભાઈ મેવા (પો.હે.કોન્સ.), જયપાલસિંહ ઝાલા (પો.હે.કોન્સ.), કિરણબેન ઢેઢી (કોન્સ્ટેબલ), મોનિકાબેન બી. (કોન્સ્ટેબલ) સહિતના કર્મયોગી ભાઈ-બહેનોએ સૌને તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે માનવ મંદિરમાં પવિત્ર, આત્મીય અને સ્નેહસભર વાતાવરણ સર્જાયું હતું. પોલીસ કર્મચારીઓ દ્વારા વડીલો સાથે રક્ષાબંધન ઉજવી ભાઈ-બહેનના સ્નેહની લાગણી વહેંચવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તથા કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓના આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું.