રાણેકપર અને કોયબા ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરનો ભાવ રૂ. 979થી વધારી રૂ. 2,250 પ્રતિ ચોરસ મીટર કરાયો; 5.40 ગણો વધારો
મોરબી: જિલ્લા વહીવટીતંત્રની MRC કમિટીની બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોના વળતર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાણેકપર તથા કોયબા ગામના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અગાઉ વળતરનો ભાવ રૂ. 979 પ્રતિ ચોરસ મીટર હતો, જે વધારીને હવે રૂ. 2,250 પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો છે. આમ, વળતરના ભાવમાં 5.40 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
પરિપત્ર મુજબ નવા ભાવના ડબલ ગણીએ રકમ ચૂકવવામાં આવશે તેવી માહિતી પણ જાહેર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે રાણેકપર ગામમાં એક વિઘાના અગાઉના ભાવ રૂ. 13.46 લાખ હતા, જ્યારે MRC મુજબ હવે એક વિઘાના ભાવ રૂ. 72.81 લાખ નક્કી કરવામાં આવ્યા છે.
MRC કમિટી દ્વારા નક્કી કરાયેલા વળતરના ભાવ અંગેની માહિતી તમામ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. ખેડૂતોને યોગ્ય વળતર માટે સચોટ અને સમયસર માહિતી મેળવવા જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની નીતિ અને માર્ગદર્શિકા મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાણેકપર અને કોયબા સહિતના અસરગ્રસ્ત ખેડૂતોને અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ વળતર મળવાનો માર્ગ ખુલ્યો છે.