૧૫મી ઓગસ્ટ – ‘સ્વતંત્રતા દિવસ’ ની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી અર્થે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીસરા ગામે આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સ્થળ ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલ દરમિયાન કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ ધ્વજવંદન પ્રોટોકોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામી તેમજ મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા અને મંડપ નિરીક્ષણ સહિતની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું ચકાસણી-નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા.
આ રિહર્સલ દરમિયાન પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તથા સંબંધિત અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.