૪૦૦%થી વધુ વળતરની જાહેરાત વચ્ચે હવે જેતપર ખેડૂત આંદોલન સમિતિના વલણ પર નજર
મોરબી: ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં મળેલી MRC કમિટીની બેઠકમાં નવી નીતિ હેઠળ પ્રથમ વખત જમીનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને જૂની પદ્ધતિની સરખામણીએ ૪૦૦ ટકાથી વધુ વળતર મળવાની વાત કરવામાં આવી છે.
વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯ના ખેડૂતને જૂની પદ્ધતિ મુજબ રૂ. ૧૪.૫૭ લાખ સામે નવી MRC પદ્ધતિ હેઠળ રૂ. ૫૮.૬૧ લાખ મળવાપાત્ર હોવાનું જણાવાયું છે. જોકે, હવે સવાલ એ છે કે વેગડવાવ ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતો આ નક્કી થયેલા ભાવને સ્વીકારશે ખરા?
કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં લોટરી પદ્ધતિથી ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ પ્રક્રિયાને પારદર્શક અને ખેડૂતોના હિતમાં ગણાવવામાં આવી છે.
પરંતુ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહેલી જેતપર ખેડૂત આંદોલન સમિતિ અને અન્ય અસરગ્રસ્ત ખેડૂતો આ નવા ભાવને યોગ્ય માને છે કે નહીં તે હજુ મહત્વનો સવાલ છે.
MRC કમિટી દ્વારા નક્કી કરાયેલા વળતરને ખેડૂતો સ્વીકારીને સમાધાન તરફ આગળ વધશે કે વધુ વળતરની માંગ સાથે આંદોલન ચાલુ રાખશે? હવે સૌની નજર ખેડૂતો અને ખાસ કરીને જેતપર ખેડૂત આંદોલન સમિતિના આગામી નિર્ણય પર છે.