112 દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલાયા; અત્યાર સુધી 59 કેમ્પમાં 16,419 લોકોનું નિદાન
મોરબીના જલારામ ધામ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ, મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મોરબીના સંયુક્ત ઉપક્રમે દર માસની 4 તારીખે યોજાતા નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ અંતર્ગત તા. 4 ઓગસ્ટે યોજાયેલા કેમ્પમાં 260 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પનું આયોજન સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા (હ. રવજીભાઈ કૈલા-ઘુંટુ) પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન આંખના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 112 દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણી (મોતિયાબિંદ)ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા ઓપરેશન ઉપરાંત જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવાની સુવિધા, ચશ્મા, દવાઓ અને ટીપાં સહિતની તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
આયોજકોના જણાવ્યા મુજબ, મોરબી જલારામ ધામ ખાતે અત્યાર સુધી યોજાયેલા કુલ 59 નેત્રમણી કેમ્પમાં 16,419 લોકોની આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી છે, જ્યારે 7,401થી વધુ દર્દીઓના સફળ નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.
કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. સંસ્થા દ્વારા દર માસની 4 તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તપાસ માટે દર્દીઓએ આધાર કાર્ડ સાથે લાવવાની અપીલ કરવામાં આવી છે.