કેનાલ બાદ પંચાસર તરફ જતાં માર્ગ પર આડેધડ બાવળ નાખી દેવાતા અકસ્માતનો ભય, સ્થાનિકોએ તાત્કાલિક દૂર કરવાની કરી માંગ
મોરબીના પંચાસર ચોકડીથી આગળ પંચાસર તરફ જતાં માર્ગ પર કેનાલ બાદ કોઈ અજાણ્યા શખ્સોએ કાપેલા બાવળના ઝાડ રોડ પર આડેધડ ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે. રોડ પર અવરોધ ઉભો થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને રાત્રિના સમયે અંધારાના કારણે રોડ પર પડેલા બાવળના ઝાડ-ઝાંખરા સમયસર દેખાતા ન હોવાથી બાઈકચાલકો અને કારચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો સમયસર આ અવરોધ દૂર કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા જવાબદાર તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી રોડ પરથી કાપેલા બાવળ દૂર કરાવી વાહનવ્યવહાર ફરી સુરક્ષિત અને સરળ બનાવવાની માંગ કરવામાં આવી છે.