વારંવાર રજૂઆત છતાં સમારકામ ન થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલો; તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
મોરબી: મોરબીથી પીપળિયા ચાર રસ્તા તરફ જતો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદ બાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતા અકસ્માતનો ભય પણ વધી ગયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોજિંદા હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને જીવના જોખમે વાહન ચલાવવું પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધુ રહે છે.
સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ આવે. હાલમાં રસ્તાની સ્થિતિને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે અને રસ્તાની ખરાબ હાલતને કારણે કોઈ અકસ્માત સર્જાય, તો તેની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. તેથી તંત્ર વહેલી તકે રોડનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.