યોગ્ય અને કાયદાકીય વળતર નહીં મળે તો 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશ નહીં – ખેડૂતોની ચેતવણી
મોરબી જિલ્લામાં ચાલી રહેલા વીજ પોલ સત્યાગ્રહ વચ્ચે વિરોધનું સ્વરૂપ વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. જેતપર બાદ હવે વાઘપર-પીલુડી ગામના ખેડૂતોએ પણ ભાજપના નેતાઓના બહિષ્કારના બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે વીજ ટ્રાન્સમિશન પોલ માટે જમીનના યોગ્ય અને કાયદાકીય વળતરનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. જો ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવામાં નહીં આવે તો વર્ષ 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના કોઈપણ નેતાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેવી ચેતવણી બેનર મારફતે આપવામાં આવી છે.
ખેડૂતોનું વધુમાં કહેવું છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ ગુજરાતના અનેક ગામોમાં પણ આવા બહિષ્કારના બેનરો જોવા મળી શકે છે.