વાંકાનેરના પાડધરા–મક્તાનપર માર્ગ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પરપ્રાંતીય શ્રમિક પરિવારોને પહોંચાડ્યો ભોજન સહારો
મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા માનવસેવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
સમિતિના કાર્યકર્તાઓએ વાંકાનેર તાલુકાના પાડધરા ગામથી મક્તાનપર ગામ સુધીના માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા તેમજ રોજગારી માટે આવેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારો સુધી પહોંચી જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.
ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી પરિવારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમયસર ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. આ સેવા કાર્ય બદલ લાભાર્થી પરિવારો દ્વારા સમિતિના કાર્યકર્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ધ્યેય સાથે આવી માનવતાવાદી પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે. સમિતિએ ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.