મોરબીના રવીરાજ ચોકડી પાસે આવેલ એક કારખાનામાં ક્રેન ઓપરેટરોની ગંભીર બેદરકારીના કારણે એક શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ-કંડલા બાયપાસ પર આવેલા કારખાનામાં લોખંડનું ભારેભરખમ પ્લેટફોર્મ ચડાવતી વખતે ક્રેનનો નબળો પટ્ટો તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સાઇ ક્રેન સર્વિસના બે ઓપરેટરો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબીની ત્રાજપર ચોકડી ડાયમંડ કારખાનાના લેબર ક્વોટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભર (ઉ.વ.૨૦) એ આરોપી સાઈ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટરો તથા તપાસમા ખૂલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇ સંતોષભાઇ વિજયભાઇ રાજભર (ઉ.વ ૪૦) નાઓ મોરબીની રવિરાજ ચોકડી પાસે રાજકોટ કંડલા બાયપાસ ઉપર આવેલ એ&જે માઈક્રોન્સ નામના કારખાનામા સાયલો પર લોખંડનુ વજનદાર પ્લેટફોર્મ ચઢાવવાના કામમા અન્ય લેબર સાથે મદદમા હાજર હોય ત્યારે કારખાનામા આ કામ માટે આવેલ સાઇ ક્રેન સર્વિસના બે હાઇડ્રો ક્રેનના ઓપરેટરો પ્લેટફોર્મને બે પટ્ટા ક્રેન સાથે બાંધી ઉચકતા હતા ત્યારે ઓપરેટરોની બેદરકારીના કારણે તથા ક્રેન જેવા યાંત્રિક મશીન સાથે નબળા અથવા ખરાબ પટ્ટાથી કામ કરવાના લીધે એક પટ્ટો તુટી જવાથી અકસ્માતે લોખંડનુ વજનદાર પ્લેટફોર્મ નીચે પડવાથી ફરીયાદીના ભાઇ સંતોષભાઇ તથા અન્ય લેબર (૧) ભીમ મહંતો તથા (૨) ઉપેન્દર મહંતો તથા (૩) અસલમ હનીફભાઇ નાઓને માથામા તથા શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી તેમજ ફરીયાદીના ભાઇ સંતોષનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.