માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે આવી છે. આ મામલે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.૪૨) એ ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી, સહમાહેનૂર ઓસમાન મોકરસી ત્રણેય રહે.- ખાખરેચી, તા-માળીયા મી.વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇના દિકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનું મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી ફરીયાદીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરીયાદીના મોટાભાઇ નવઘણભાઇના ઘરમાં અપ-પ્રવેશ કરી ઘરમા આગ લગાડી તથા ઘરમાં ચીજ વસ્તુને કુહાડી તથા ત્રીકમ વડે તોડફોડ કરી આશરે રૂ.૧,૦૦,૦૦૦/- નુકસાની કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.