મોરબી તાલુકાના આંદરણા ગામે તસ્કરોએ કાયદાના ડર વગર એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને લુહારી કામ કરતા કમલેશભાઇ મેરામણભાઇ બોરાણા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બંધ રહેણાંક મકાનમાં મોડી રાતના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી, તાડુ બહાર કાઢી ગુપ્ત રીતે મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી મકાનના બન્ને રૂમના લોખંડના બંધ કબાટના લોક તોડી કબાટમાં રહેલ સોનાચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા તથા ઘડીયાળ નંગ-૧ મળી કુલ કી.રૂ. ૭,૩૬,૯૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.