ગામડાંના છેવાડાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા અને સરકારી યોજનાઓનો લાભ સીધો જ ગ્રામ્ય સ્તરે પહોંચાડવાના ઉમદા આશય સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા રાત્રિ સભા યોજવામાં આવી હતી,જે દરમિયાન કલેક્ટરએ સૌપ્રથમ થોરાળા ગામની વહીવટી કામગીરી પારદર્શક રહે તે હેતુથી ગ્રામ પંચાયતના સામાન્ય દફતરની ઝીણવટભરી તપાસણી કરી હતી.
કલેક્ટરએ ગ્રામ્ય કક્ષાએ ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો, પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ સરકારી સેવાઓની ઉપલબ્ધતા અંગે સઘન સમીક્ષા હાથ ધરી હતી.
ગામના પ્રશ્નોના પ્રત્યક્ષ તાગ મેળવવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાત્રિ સભામાં કલેક્ટરએ ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને કૃષિ-રોજગાર લક્ષી યોજનાઓ વિશે ખૂબ જ સરળ શૈલીમાં વિગતવાર સમજ આપી લોકોને જાગૃત કર્યા હતા.
આ મુક્ત સંવાદ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નોને કલેક્ટરએ અત્યંત સંવેદનશીલતાપૂર્વક સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગોના સંકલન દ્વારા તમામ વ્યાજબી પ્રશ્નોનો વહેલામાં વહેલી તકે ત્વરિત અને હકારાત્મક નિકાલ લાવવા માટે સ્થળ પર જ ખાતરી આપી હતી.
આ રાત્રિ સભા દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.