મોરબી:વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે નવો વેગ મળ્યો છે. ખેડૂત આગેવાનો દ્વારા સરકારના નવા પરિપત્રનો વિરોધ કરતાં ‘સત્યાગ્રહ પાર્ટ-3’ ની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત આગામી 14 જુલાઈ, 2026 (મંગળવાર) ના રોજ મોરબીમાં વિશાળ ન્યાય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત સમિતિ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સવારે 9:00 વાગ્યે મહેન્દ્રનગર ચોકડ ખાતેથી પદયાત્રા શરૂ થશે. આ યાત્રા સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને બપોરે 12:00 વાગ્યે કલેક્ટર કચેરી પહોંચશે, જ્યાં ખેડૂતો દ્વારા સરકારના નવા પરિપત્ર સામે આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારનો નવો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી અને તે સ્વીકાર્ય નથી. તેથી રાજ્યભરના ખેડૂત ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં મોરબી પહોંચી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાનારી પદયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે કે આ પદયાત્રા ખેડૂતોના હકો અને વળતર સંબંધિત માંગણીઓને લઈને સરકાર સુધી મજબૂત સંદેશ પહોંચાડવા માટે યોજાઈ રહી છે. આંદોલનને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો સુધી સંદેશ પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.