મોરબીના લગધીરપુર રોડ પર આવેલી કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં ગત નવેમ્બર માસમાં બનેલી એક કરુણ ઘટનામાં ૧૧ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ હવે મોરબી તાલુકા પોલીસ મથકે મશીન ઓપરેટર વિરુદ્ધ બેદરકારીથી મોત નીપજાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબીમાં મજૂરી કામ કરતા વિશાલ કિરાડેના જણાવ્યા હતું કે ગત તારીખ ૧૭/૧૧/૨૦૨૫ના રોજ રાત્રિના સમયે તેમનો ૧૧ વર્ષનો નાનો ભાઈ વિશ્વાસ તેને મોબાઈલનું ચાર્જર આપવા માટે ફેક્ટરીમાં કોલસા મિલ પાસે આવ્યો હતો. આ સમયે કોલસો ખાલી થઈ જતાં વિશાલ ટ્રેક્ટર ચાલકને બોલાવવા ગયો હતો. થોડીવાર પછી પરત આવીને જોતા વિશ્વાસ કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો. બૂમાબૂમ કરી મશીન બંધ કરાવ્યા બાદ તેને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર તેને વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો, જ્યાં બડવાનીની નિમાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૫/૧૧/૨૦૨૫ના રોજ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બડવાની જિલ્લા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે માસૂમ વિશ્વાસનું મોત ઈજાઓને કારણે થયેલા સેપ્ટિસેમિક શોક ને લીધે થયું છે. આ મામલે મધ્યપ્રદેશ પોલીસે પ્રાથમિક તપાસ કરી ઝીરો નંબરથી એફ.આઈ.આર. મોરબી મોકલી આપી હતી. જેથી હાલ આરોપી બ્રીજેન્દ્ર રાજાવત (કોલ મશીન ઓપરેટર) રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી લગધીરપુર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.