મોરબી: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના રાજકોટ ડિવિઝનના મોરબી ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે મોરબી અને જામનગર વચ્ચે નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ‘સુવિધાજનક, સલામત અને સમયસર’ મુસાફરીના સૂત્ર સાથે શરૂ થયેલી આ સૌરાષ્ટ્ર મીડી બસ અને ઇન્ટરસિટી સેવાઓ મોરબીથી નીકળીને ટંકારા, ઓટાલા, લતીપુર, ધ્રોલ અને ફલ્લા થઈને જામનગર પહોંચશે.
આ રૂટ પર મુસાફરો માટે બે અલગ-અલગ સમયના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બસ સેવાનો સમય મોરબીથી બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉપડવાનો અને જામનગરથી પરત બપોરે ૧૫:૧૫ (૩:૧૫) વાગ્યે ઉપડવાનો રહેશે. આ બસ માટે મોરબીથી સવારે ૧૧:૩૦ વાગ્યે અને જામનગરથી બપોરે ૧૪:૪૫ (૨:૪૫) વાગ્યે ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. જ્યારે બીજી ‘ઇન્ટરસિટી’ બસ સેવાનો સમય મોરબીથી સવારે ૬:૦૦ વાગ્યે અને જામનગરથી પણ સવારે ૯:૦૦ વાગ્યે ઉપડવાનો રહેશે.
મુસાફરોની સફરને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે આ બસોમાં આરામદાયક બેઠકો, સલામત સફર, સમયનું પાલન. મુસાફરો GSRTC ની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પર જઈને આ બસોનું ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા મુસાફરોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.