મોરબી: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા. 24 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને પ્રિવેન્શન માટે વ્યાપક કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન 2 હોસ્પિટલના 17 સ્ટાફ, 3 ઇન્ડસ્ટ્રીઝના 51 કર્મચારીઓ, 1 પેટ્રોલ પંપના 8 કર્મચારીઓ તેમજ 1 કોમર્શિયલ સંસ્થાના 10 કર્મચારીઓને મળી કુલ 86 લોકોને ફાયર પ્રિવેન્શન અને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફાયર સેફ્ટી પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનની તપાસ કરવામાં આવી હતી. જ્યાં જરૂરી સુવિધાઓમાં ખામી જોવા મળી ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ પાઠવી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 4 અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. અગ્નિશમન શાખાના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને ઇમરજન્સી સમયે સમયસર કાર્યવાહી દ્વારા જાન-માલનું રક્ષણ કરવાનો છે.
આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં 1 રેસ્ક્યૂ કોલ તેમજ 7 અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના બનાવોમાં ફાયર બ્રિગેડના જવાનોએ સંપૂર્ણ PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) અને આધુનિક સાધનોની મદદથી સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો.
કોઈપણ આગની ઘટના કે ઇમરજન્સી સમયે નાગરિકોને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફોન નંબર (02822) 230050, 101 અથવા 112 પર તાત્કાલિક સંપર્ક કરવા ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.