એક તરફ રાજ્યમંત્રી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગુનાખોરી સામે કડક પગલાંની વાતો કરી છે, ત્યારે તેમના જ ગામના યુવાનની હત્યા ની આવી ગંભીર ઘટના બનતા કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, જેતપર ગામના વતની અને હાલ મહેન્દ્રનગરની પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉ.વ. ૨૮) પોતાના મિત્ર વિવેક અઘારા સાથે હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલમાં નાસ્તો કરવા ગયા હતા. આ દરમિયાન ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા અને જૂની પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલી તંગ બની જતા હુમલાખોરોએ અનિલ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અનિલ લોહીલુહાણ થઈ ગયો હતો. વચ્ચે પડેલા તેના મિત્ર વિવેક અઘારાને પણ છરીના ઘા વાગતા ઈજા પહોંચી હતી.
બંનેને તાત્કાલિક સારવાર માટે પહેલા મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અનિલનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં રૂપિયા લેતીદેતીનો મુદ્દો આ હત્યાનું કારણ હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ કોઈ ફાયનાન્સ પેઢીની સંડોવણી હોવાની ચર્ચાઓ પણ તેજ બની છે. હાલ માળિયા પોલીસે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.