મોરબી: રંગોના તહેવાર ધુળેટી દરમિયાન મોરબી જિલ્લામાં દુર્ઘટનાઓની શ્રેણી સામે આવતા શોકની લાગણી ફેલાઈ છે. મોરબી ફાયર વિભાગ તહેવારને પગલે સ્ટેન્ડબાય પર સજ્જ હતો અને ઘટનાઓ સામે આવતા તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
પ્રથમ બનાવમાં હળવદ વિસ્તારની વનવગડો હોટલ પાછળ આવેલી કેનાલમાં ૪૦ વર્ષીય જયસુખભાઈ દિલાભાઈ પટેલ ડૂબી ગયા હોવાની જાણ થતા ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તેમને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
બીજી ગંભીર ઘટનામાં મોરબીના ઊંચી માંડલ ગામ નજીક એક રાજસ્થાની વ્યક્તિ કેનાલમાં ડૂબી ગયાની માહિતી મળી હતી. ફાયર વિભાગે મોડીરાત્રે સુધી શોધખોળ હાથ ધરી, છતાં કોઈ પત્તો ન મળતા આવતી કાલે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં મોરબીના લિલાપર સ્મશાન સામે આવેલ એક મકાનમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. મકાનમાંથી ગેસ સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢાતા મોટી દુર્ઘટના ટળી હતી.
ફાયર વિભાગે મોરબીવાસીઓને અપીલ કરી છે કે તહેવારો દરમિયાન ખાસ સાવચેતી રાખો, ઘર છોડતા પહેલા લાઇટ અને ગેસ બંધ કરવાની ખાતરી કરો અને પાણીના સ્ત્રોતો પાસે જતાં સમયે સતર્કતા જાળવો, જેથી આવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાય.