ભાજપ પ્રત્યે વફાદારી નું ઇનામ શું મળ્યું ? અગાઉ પણ અન્યાય કર્યો હતો ના ચુંવાળીયા કોળી સમાજના આક્ષેપ
તાજેતરમાં જાહેર થયેલ ભારતીય જનતા પાર્ટીના મોરબી જીલ્લા સંગઠનમાં હોદેદારોની વરણીને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા હતા કે એક જ જૂથના સમર્પિત લોકોને જિલ્લા ભાજપની ટીમ માં હોદ્દા મળ્યા છે ત્યારે હવે ચુંવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જે મુદ્દે વાંકાનેર તાલુકાના ચુંવાળીયા કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક વાંકાનેરના ધમલપર ગામે ગેલ માતાજી મંદિર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, મોરબી જિલ્લામાં તેમજ વાંકાનેર વિધાનસભામાં ચુવાળીયા કોળી સમાજ નોંધપાત્ર મતદાન ધરાવતા હોય તેમજ વર્ષોથી ભાજપ પ્રત્યે વફાદાર હોય છતાં પણ જિલ્લા સંગઠનમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ સમાજ સાથે અન્યાય થયાનો ઉલ્લેખ કરી તાજેતરની વરણીને તેનું તાજું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા-જીલ્લા પંચાયત તથા નગરપાલિકાની બેઠકો પર સમાજને ટિકિટ આપવામાં આવે તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજમાંથી નિમણૂક કરવામાં આવે તેવી માંગ બેઠકમાં ઉઠી હતી. બેઠક દરમિયાન આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજનું મહાસંમેલન યોજવાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
સમગ્ર ઘટનાક્રમને પગલે વાંકાનેર વિસ્તારમાં ચુવાળીયા કોળી સમાજમાં રાજકીય સ્તરે ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.