મોરબી શહેરમાં કંડલા બાયપાસ હાઈવે પર ડીવાઇન પાર્કમાં ફ્લેટમા રહેતા કેટલાક લોકોના ત્રાસ અને ધમકીઓથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મૃતક મહિલાએ લખેલી સુસાઈડ નોટમાં કેટલાક લોકોના નામ લખ્યા હોવાનું જણાવી તેના મૃતકના પુત્રએ આઠ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ હાઈવે રોડ પર ક્રિષ્ના ગ્રાઉન્ડ પાછળ આવેલ ડિવાઈન પાર્કમાં સત્યમ બી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨મા રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાચોટીયા (ઉ.વ.૪૪) એ આરોપી મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા, વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા, નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા, ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા, કેવલ કારૂભાઇ વિરમગામા, રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજી જીવાણી, વિલાસબેન સવસાણી રહે.બધા મોરબી કંડલા બાયપાસ, ડીવાઈન પાર્ક, સત્ય-બી એપાર્ટમેંટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈ તા. 5 માર્ચ 2026 ના રોજ વહેલી સવારે પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે સવિતાબેને ફ્લેટના ધાબા પાસે લિફ્ટના મેન્ટેનન્સ રૂમમાં જતી સીડીઓ પાસે દોરી અને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ સ્થળ પરથી કેટલીક ચિઠ્ઠીઓ મળી આવી હતી જેમાં મૃતક સવિતાબેને સોસાયટીમાં રહેતા કેટલાક લોકો પોતાને ગાળો આપતા, ધમકાવતા અને અપમાન કરતા હોવાની વાત લખી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ વર્ષ 2024માં પાર્કિંગમાં પાણી ધોવાની બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક લોકોએ નરેન્દ્રભાઈ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે તે સમયે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદથી આરોપીઓ ખાર રાખી પરિવારને હેરાન-પરેશાન કરતા અને ખાસ કરીને નરેન્દ્રભાઈની ગેરહાજરીમાં તેમની માતાને ધમકાવતા હોવાથી પરિવારને નુકસાન ન પહોંચે તે માટે ફરીયાદીની માતાએ આપઘાત કરી લીધો હતો જેથી આરોપીઓ ફરીયાદી તેમજ તેના પરીવારને નુકશાન કરવાની ધમકી આપી ટોર્ચર કરી હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુખત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરીત કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.