મોરબી શહેરમાં ઉમીયા સર્કલથી રવાપર ચોકડી સુધી કેનાલની પૂર્વ સાઈડ પર પેવર બ્લોક નાખવાની કામગીરી છેલ્લા આશરે ત્રણ વર્ષથી શરૂ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પૂર્ણ ન થતાં ઉમીયા સર્કલ તથા અવની ચોકડી આસપાસની તમામ સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.
રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે અધૂરા કામના કારણે રસ્તા પર ધૂળના રજકણો અને કાંકરા ઉડીને આવતાં હોય છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે અનેક વખત સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત રહેવાસીઓએ આ કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાની પણ શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર કામની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે કામની વિગત દર્શાવતું કોઈ બોર્ડ કે પાટીયું પણ સ્થળ પર મૂકવામાં આવ્યું નથી. તેમજ ઉમીયા સર્કલથી રવાપર ચોકડી સુધીના રોડ પર આવેલી તમામ સોસાયટીના રહીશોએ તંત્ર પાસે માંગ કરી છે કે પેવર બ્લોક નાખવાનું કામ તાત્કાલિક શરૂ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. તેમજ અરજી કર્યા બાદ 10 દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.