ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલા ડેમી-2 સિંચાઈ યોજનાના બે દરવાજા આગામી 15 જૂન, 2026ના રોજ સવારે 09 વાગ્યે ખોલવામાં આવશે. ગુજરાત સરકારના સચિવાલયની મંજૂરી બાદ ડેમના રેડિયલ ગેટ ખોલીને હેઠવાસના ચેકડેમો ભરવા માટે 15 MCFT પાણી છોડવામાં આવશે.
તંત્રના જણાવ્યા મુજબ ડેમનું હાલનું જળસ્તર 45.20 મીટર છે અને જળાશયમાં 233.05 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બે દરવાજા એક ફૂટ સુધી ખોલી અંદાજે 1101 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેમજ પાણીનો પ્રવાહ વધવાના કારણે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. જેમાં ડેમના હેઠવાસમાં આવેલા નસીતપર, નાના રામપર, મોટા રામપર, ચાંચાપર, ખાનપર અને કોયલી ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્રએ સ્થાનિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.