મોરબી: ૬૫-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાન બાદ હવે જનતાનો આભાર માનવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય ‘અભિવાદન સમારોહ – આભાર દર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને આજે તારીખ 28 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5:45 કલાકે ઉમા ટાઉનશીપ મોરબી -2 ખાતે આ કાર્યક્રમ યોજાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન તા. ૨૬ મે ના રોજ શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થયું હતું. આજે તા. ૨૮ મે, મંગળવારના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પરિણામો બાદ તરત જ જનતા અને કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કરવા ભાજપ સજ્જ બન્યું છે.
કયા ઉમેદવારોનું થશે અભિવાદન?
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ સંસ્થાઓના ઉમેદવારો ઉપસ્થિત રહેશે, જેમાં
મોરબી મહાનગરપાલિકા
મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત
માળિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત
માળિયા નગરપાલિકા
આ તમામ સંસ્થાઓમાં ચૂંટણી લડેલા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનોનો આભાર માનવામાં આવશે.
ગુજરાત સરકારના શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયાએ તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં આ ઉમંગભર્યા સમારોહમાં પધારવા અંતરપૂર્વકનું આમંત્રણ પાઠવ્યું છે.