વાંકાનેર: ન્યાયિક પ્રક્રિયામાં રૂકાવટ ઉભી કરનારા અને કોર્ટના જાહેરનામાની અવગણના કરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. વાંકાનેરની પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર કોર્ટમાં ચાલી રહેલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના એક કેસમાં (ફૌ.કે.નંબર ૯/૦૨૦૪) આરોપી મહાદેવભાઈ ખેમાભાઈ યોગી (રહે. બસપા, તા. સમી, જી. પાટણ) લાંબા સમયથી કોર્ટમાં હાજર થતા નહોતા. આ મામલે નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબ જાહેરનામું બહાર પાડી આરોપીને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોર્ટના રેકોર્ડ મુજબ, ગત ૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આરોપી વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા જાહેરનામાની વિધિવત બજવણી થઈ ચૂકી હતી. તેમ છતાં, આરોપી નિર્ધારિત મુદતે કોર્ટમાં હાજર રહ્યા નહોતા અને જાણીજોઈને કોર્ટના આદેશનો અનાદર કર્યો હતો. જેથી આરોપીના આ ઉદ્ધત વર્તનને પગલે કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોર્ટના બેન્ચ ક્લાર્ક ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૧૭૪ (એ) મુજબનો પ્રથમ દ્રષ્ટિએ ગુનો અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૦૯ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.