માળીયા મીયાણા તાલુકાના નવી નવલખી ગામના એક પરિવારના ઘરે આરોપીઓએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી, ઘરવખરીનો સામાન નુકસાન પહોંચાડ્યો, આશરે 1.50 લાખની માલમત્તાને નુકસાન કર્યું તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવી નવલખી ગામના વતની અને હાલ જામનગરના માધાપરમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાઈચા (ઉ.વ.૪૫) એ આરોપી ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઈશાક કરીમભાઈ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હશનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઇ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા રહે બધા નવી નવલખી ગામ તથા રીહાના ઇબ્રાહીમભાઈ સોતા રહે. વવાણીયા ગામવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તારીખ ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ નવી નવલખી ગામના અબ્બાસ અબ્દુલભાઈ સોતાનુ ખુન થયેલ હતુ જેમા ફરીયાદીના દિકરા નામે હુશેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય જે વાતનું મન દુ:ખ રાખી મૃતકના સગા સંબંધીઓએ ફરીયાદિના રહેણાંક મકાનમાં ગેર કાયદેસર પ્રવેશ કરી આશરે ૧,૫૦,૦૦૦/- ની ઘર વખરીનો સામાન ઘરની અંદર તથા ઘર ની બહાર કાઢી સળગાવી દીધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે