રાજપૂત સમાજ માટે બંધારણ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી
મોરબી: આજે મેલડીધામ મધુપુર ખાતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી ટીમ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા તેમજ મોરબી અને માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેના, ગુજરાત રાજપૂત યુવાસંઘ, મોરબી જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલો અને અગ્રણીઓ દ્વારા સમાજલક્ષી કાર્ય અને કલ્યાણ માટે એક સશક્ત બંધારણ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયને સમાજમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.