ત્રિકોણ બાગની જૂની દુકાનોનું થશે રી-ડેવલપમેન્ટ વેપારીઓને મળશે નવી તકો, શહેરને મળશે આધુનિક સુવિધાઓ
રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ તેમજ ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોરબીના વિસ્તરણ અને વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી માધાપર ખાતે સુવિધાસભર નવા શાક માર્કેટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને સંબંધિત એજન્સીને LOI (Letter of Intent) આપવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ માર્કેટ શરૂ થતાં છૂટક વેપારીઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને નાગરિકોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદી કરવાની સુવિધા મળશે.
શહેરના મુખ્ય કેન્દ્ર ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની જૂની દુકાનોના રી-ડેવલપમેન્ટ માટે પણ પાલિકાએ સકારાત્મક પહેલ કરી છે. આ સંદર્ભે સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત જર્જરિત દુકાનોના સ્થાને આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે, જેનાથી શહેરની સુંદરતા વધશે અને વેપારીઓને ઉત્તમ વ્યવસાયિક તકો ઉપલબ્ધ થશે. મોરબી મહાનગરપાલિકાના આ બંને પ્રોજેક્ટ્સ શહેરના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યા છે.