મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ઓડિટોરીયમનું નિર્માણ કરવામા આવનાર છે ત્યારે આ સૂચિત ઓડિટોરીયમનું નામકરણ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ ત્યાં મુકવામાં આવે તીવી માંગ શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા કમીશ્નર રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર જનતાની સુખાકારી માટે ભવ્ય સાંસ્કૃતિક ઓડિટોરીયમનું નિર્માણ કરવા જઈ રહ્યું છે એ ખરેખર આનંદની વાત છે. પરંતું ઐતિહાસિક માહિતી આપીએ તો મોરબી રાજય પરિવારે મોરબીના સાંસ્કૃતિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે તારીખ : ૩૧/૦૧/૧૯૬૩ ના રોજ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું લખલૂટ ખર્ચે નિર્માણ કરી મોરબીની જનતાને અર્પણ કરેલ અને મોરબીની જનતાના સવિશેષ આગ્રહથી મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવેલ જે બંને હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમાઈસીસમાં મોજૂદ છે.
સમસ્ત મોરબીની આમજનતા તથા અમારી સહયોગી સંસ્થાઓએ આ અંગે અમોને રજુઆત કરતાં આપને જણાવી રહ્યા છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન સુચિત ઓડિટોરીયમનું નિર્માણ કરે ત્યારે આ સૂચિત ઓડિટોરીયમનું નામકરણ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ ત્યાં મુકવામાં આવે. કારણ કે આ હેરિટેજ વિષય છે. મોરબીના રાજય પરિવારે મોરબીની જનતા માટે કરેલા હજારો સુખાકારી કાર્યોનો એ જીવંત ઈતિહાસ છે અને આ ઈતિહાસને બદલી ન શકાય. નવા સંસ્કરણો – નવા પ્રોજેકટ આવકાર્ય છે પરંતુ ઈતિહાસ તો અંતે ઈતિહાસ જ રહે છે અને રહેશે. જેથી ઓડિટોરીયમનું નિર્માણ કરે ત્યારે આ સૂચિત ઓડિટોરીયમનું નામકરણ મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ રાખવામાં આવે તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીનું સ્ટેચ્યુ પણ ત્યાં મુકવામાં આવે તેવી માંગ કરી છે.